રવિવાર, 22 એપ્રિલ, 2012

વાહ ! ઝાડવું એક અને થડિયાં અનેક !


     માત્ર ચૂલો, કડાઇ,તાવેથો અને તાપની ગોઠવણ કર્યે  શીરો બની જતો હોત તો ઘી, ગોળ કે લોટ-પાણીનો  કોઇ ભાવ જ ન પૂછત ! એ રીતે આકાશથી ઉતરી આવતો સૂર્યપ્રકાશ અને હવા માંહ્યલો અંગારવાયુ વનસ્પતિના લીલા પાંદડે પહોંચી જવા માત્રથી વનસ્પતિનો ખોરાક તૈયાર થઇ જતો નથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પહેલી જરૂર પડે છે પોષક તત્વોથી સભર એવા રંધાનારા કાચા ખોરાક રૂપી જમીનના રસની, અને એને જમીનમાંથી ચૂસી પાંદડા સુધી પહોંચાડ્યા કરવાનું પાયાનું કામ કરે છે આપણી નજરને નહીં ભળાતા એવા જમીનમાં ધરબાએલા ઝાડ-છોડના મૂળિયાં .
     મૂળિયાનું એવું જ બીજું બહુ અગત્યનું કામ છે - ઝાડ-છોડને ધરતી પર મજબૂતીથી ઊભો રાખવાનું. તોફાની પવનની આંટીઓ કે વાવાઝોડું  સિમેંટ-રેતીથી ધરબેલા અને ચોતરફ તાણિયા કસેલ વીજળીના થાંભલાને પાયામાંથી ઉખાડી જમીનદોસ્ત કરી દેતા હોય છે. પણ નહીં ફાંઉડેશન કે નહીં એકેય તાણિયો ! ઝંઝેડી નાખતા ઝંઝાવાત ફળ-પાંદડા તો ખેરી નાખે, ડાળીઓય ભાંગી નાખે, થડિયુંયે ફંહાય જાય પણ વૃક્ષના મૂળિયાં માટીની પકડ મૂકતા નથી. ઝાડ કે છોડને પોષનારું અને ધરતી પર અડિખમ ઊભુ રાખનારું કોઇ પરિબળ હોય તો તે છે તેનાં મૂળિયાં !
  દુ;ખ જ આપણું આ છે = આપણે બધા પાકના ખોરાકી તત્વો એટલે કે વિવિધ જાતના સેંદ્રિય અને રાસાયણિક ખાતરોના ઉમેરણની જેટલી ચિંતા રાખીએ છીએ એનાથી પાંચમાં ભાગનીયે દરકાર એ ખોરાકી તત્વોને જમીનમાંથી ચૂસી ઉપર ધકેલનારા  ઝીણાં-મોટા મૂળિયાંની લેતા નથી. ખોરાક ભલેને ઢગલામોઢે પડ્યો હોય એ ચૂસનારા મૂળિયાં જ જો  માયકાંગલા અને અલ્પ જથ્થામાં હોય તો ? છતે ખોરાકે છોડવાને ભૂખે મરવાનો વારો આવે કે નહીં ?  
        ઈમારત કેટલી ઉંચી લઇ જઇ શકાશે તેનું ગણિત તેના પાયાની મજબૂતાઇ કેટલી કરવામાં આવી છે તેને ધ્યાને લઇને એંન્જીનીયરો કરતા હોય છે. આપણા છોડવા કે ઝાડવા કેવાક ફાલશે-ફૂલશે કે કેટલું ઉત્પાદન આપવા સક્ષમ બનશે તેનું ગણિત પણ તેનું મૂળતંત્ર કેવુંક મજબુત, ફેલાએલું અને કાર્યરત છે તેના પર જ મંડાવાનું .
        એક ઝાડવાને એક થડ હોય-એ તો હોય ! એમાં કંઇ નવું કે અચંબો પમાડે એવું નથી. પણ એક ઝાડવાને એકથી વધારે થડિયાં હોય એવું જોયું છે ક્યાંય ?  યાદ કરો બરાબર ! કોઇ કોઇ ગામના ગોંદરે કે તળાવની પાળે ઊભેલા વૃક્ષ-જગતના વડિલ એવા વડદાદાને નીરખીને જોજો જરા ! થડિયાની આસપાસ પાર વિનાની એની વડવાઇઓ જોવા મળશે.       
 આ વડવાઇઓ શું છે ?  વડ કે પીપર જેવા ખાસ વિશિષ્ટ ખાસિયત ધરાવતા ઝાડવાઓ પૂખ્ત ઉંમરના થતાં તેની પાકટ ડાળીઓમાંથી પાતળાં મૂળિયાં ફૂટી ધરતી તરફ લંબાતા હોય છે. જમીન સુધી પહોંચ્યા પછી તે જમીનમાં પ્રવેશી મૂળનું માળખું બનાવી જમીનમાંથી પોષણ ખેંચી ખેંચી ઉપર મોકલવાનું કામ બજાવવા લાગે છે. સમય જતાં તે માળખું મોટું બનતું જાય છે અને જમીનથી મુખ્ય ડાળી સુધીની એ વડવાઇ હવે પાતળાપણું છોડી ,લોંઠકી બની થડનું રૂપ ધારણ કરી લે છે. વખત જતાં એની જાડાઇ એટલી બધી વધી જતી હોય છે કે મૂળ થડ ક્યુ  અને વડવાઇઓ દ્વારા બનેલાં થડ ક્યા-પારખવું અઘરું થઇ પડતું હોય છે.
  ઝાડની આ આવડતનો લાભ આપણે લઇ શકીએ ? = હા, ખેતીના આધુનિક વિજ્ઞાને આ પડકાર જીલ્યો છે અને કલમ ના સિધ્ધાંતને સહારે નવું કૌતૂક ઊભું કર્યું છે. કેવી રીતે તે જરા જોઇએ.
 રીત સાવ સહેલી છે = રાયણના પઠ્ઠાપર ભેટ કે નૂતન કલમ કરી ચીકુનું વર્ધન કરવાનું ખેતી વિજ્ઞાને શીખવાડ્યું છે. બસ, એ જ રીત-પધ્ધતિએ લગભગ બધા ફળઝાડોને વધુ થડ-મૂળ ઉમેરી શકાય છે. જેમકે ચીકુનું ઝાડ ઉછરી મોટું ડાળીઓ વાળું બની જાય એટલે મુખ્ય થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી દેવાનો. પઠ્ઠો જમીનમાં ચોટી જઇ જોરદાર રીતે વધવા માંડે ત્યારે તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાનો. કલમનો સાંધો મળી જાય બન્ને એક્જીવ થઇ જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, પણ ચીકુની ડાળીને તેના ઝાડથી અલગ નહીં કરી દેતા એમનેએમ લાગેલી રહેવા દેવી. જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે એટલે સહેજે આપણને એક થડ વાળા ઝાડની સરખામણીએ આવા ઝાડમાં વધારે ઉત્પાદન મળવા લાગે.
 આ રહ્યો બોલતો પુરાવો = આ રીતે ફળઝાડોને  વધુ થડ-મૂળિયાં ઉમેરાયા હોય એવું પ્રત્યક્ષ કામ જોવા ઈચ્છતા હોય તેમને માટે માહિતી આપું. શ્રી હિરાભાઇ રાજાભાઇ કરમટા-[જી.ઇ.બી.વાળા] મો. 94272 29603 ની 12 એકરની ચીકુવાડી ગામ-ખેરા તા-માળિયા,જિ. જુનાગઢમાં આવેલી છે. ખેતી પધ્ધતિ સજીવવાળી છે. આ વાડીના 700 ચીકુનાં તમામ ઝાડવાં જોઇ વળો- એક થડ વાળું શોધ્યું નહીં જડે ! લગભગ તમામને બે થી માંડી ત્રણ-ત્રણ ને ચચ્ચાર સુધીના થડ જોવા મળશે. તેઓ આ વિશિષ્ટ પ્રકારના ઝાડ ઉછેરની મહેનત પોતાના મોટાભાઇની ગણે છે અને વધુને વધુ મૂળને પરિણામે ફળોનું ઉત્પાદન પણ ધીંગું રહ્યાનું કબુલે છે. આ બાગ જોયા પછી પ્રગતિશીલ માનસ ધરાવતા ખેડૂતો જરૂર કંઇક નવું કરવા પ્રેરાશે.
 શું બીજા વૃક્ષોમાં આવું થઇ શકે ? હા, જરૂર થઇ શકે. જે જે ઝાડમાં ભેટકલમ શક્ય  બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી , વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે. તમે પણ પ્રયોગ કરી જોજો અને પરિણામ કેવું મળે છે તેની અન્યને જાણ કરશો ! સુખ તો વહેંચવાથી જ વધે ને !
                                                        

ખોટ ખાઈને પણ ખોટી થવું - લાંબાગાળે નફાકારક


તમે જોજો ! ખેડૂત માત્રનો આરાધ્યદેવ બાબરોભૂત હોય તેમ ખેડૂત કદિ સાવ નિરાંતવો તમને નહીં ભળાય. તે કોઇના લગ્ન પ્રસંગમાં હાજરી આપતો હોય કે ઓફીસલી અગત્યના કામે કોઇ કચેરીમાં ગયો હોય કે ભલેને ભાઇ-ભાંડું કે સગા-વહાલાની વચ્ચે કૌટુંબિક વ્યવહારમાં વળગેલ હોય, એના વાણી-વરતનમાં આ કામ કેમ જલ્દી પુરૂં થાય અને ક્યારે હું  ઘર-વાડી ભેળો થાઉં એવી ઉતાવળ જ દેખાયા કરતી હોય છે  
        એના આ ઉદ્વેગી જીવનનું કારણ બીજું કશું નહીં એનો ખેતીનો ધંધો જ કારણભૂત છે. અને એ સ્વાભાવિક પણ છે ભાઇ ! ખેતી તો વ્યવસાય જ એવો છે કે જેમાં ભગવાને દિવસ ઘડ્યો છે 24 કલાકનો  પણ આ ધંધામાં કામ મુક્યું છે 30 કલાકનું ! એય પાછું નિરાંતનું નહીં હો ! લોહી-પાણી એક કરી દે તેવું કઠ્ઠણ મહેનતનું ! ચોમાસું હોય કે ઉનાળો, કે હોય હાડ થીજાવી દે તેવી ઠંડીવાળો શિયાળો ! ન ઋતુ જોવાની કે ન જોવાના રાત કે દિવસ. ઊઠતા-બેસતા, સુતા-જાગતા-બસ કામનું જ રટણ, અને કામના જ સળકા ઊઠતા રહે છે એના શરીર અને મનમાં
        અને એનું સીધું પરિણામ એ આવે છે કે ખેડૂતનું શરીર તો થાકીને લોથ થઇ જાય છે પણ સાથોસાથ મન પણ કામ સંતોષકારક રીતે ન નિપટાયું હોય તો  હતાશાભર્યો થાક અનુભવે છે. શરીરનો થાક તો રાતભરની ગાઢ નિંદ્રા ઉતારી દઇ ફરી સ્ફુર્તિ અને તાજગી આપી દે છે પણ થાકેલા મનને તાજગી આપવાનું કામ એકલો શારિરીક આરામ નથી આપી શકતો. તમે જોજો ! મનથી થાકી ગયેલો કે હતાશ થયેલો ખેડૂત ખેતીમાં કશુએ નવું કરવાના,આગળ વિચારવાના, વધુ સમજવાના અને એ રીતે ધંધાને વધુ સુધારવાના પ્રયત્નો જ છોડી દેતો ભળાશે.  
        ધંધામાં કામે ક્યાંય નહીં પહોંચવાના કારણે જીવ તો એવો અધીરિયો થઇ ગયો હોય છે કે કામ સિવાયની કોઇ પણ વાત એના મગજમાં ઉતરતી જ નથી. અને આ જલ્દી જલ્દી કામ કરી વાળવા ની લ્હાયમાંને લ્હાયમાં કેટલીક અનિવાર્ય અને વિજ્ઞાને શોધી આપેલ ધંધાકીય વિકાસની પ્રવૃતિઓ તરફ લક્ષ આપી શકાતું નથી. પરિણામે ધંધામાં બરકત તો દૂર રહી નુકશાનીની ટકાવારી વધતી ચાલે છે.
 ખાળે ડૂચા અને દરવાજા મોકળા ! = મારી નજરમાં આવ્યું છે કે ખેડૂતના ઘેર કપાસનો તોલ ચાલુ હોય ત્યારે તોલાટના વજનિયાં બરાબર છે કે નહીં ? ધારણની ગણતરીમાં ક્યાંય ગરબડ તો નથી કરાતીને ? તેની ચોક્કસાઇ સાથે પોતે પણ કાગળ-પેન લઇ ધારણની નોંધ કરવાને બદલે રૂમમાં કે ગોડાઉનમાં દિવાલે ચોટી ગયેલા કપાસના પૂમડાં ખંખેરવા કે નીચે વેરાએલા કપાસને ભેળો કરવા રોકાઇ રહી મજૂરી બચાવ્યાનો સંતોષ લેતા હોય છે.
         વેપારી કે તોલાટ બધા કંઇ માથે પ્રભુ રાખી  ન્યાયી તોલ કરનારા નથી હોતા. આપણે જ્યારે સામે ચાલીને કર તું-તારે ખોટું એવો મોકો સામેથી પૂરો પાડી આપીએ, પછી તે બે ધારણ ઓછી ગણે કે પાંચ ગાંહડીમાં વધારે નમતું જોખી લે તો એવી અનુકૂળતાઆપણે જ કરી આપી ગણાય. છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ ગણાય   એમ એકતો માલ આપણો વધારે જાય અને છેતરાઇ જનાર તરીકે સામાવાળો આપણને મૂરખ ગણી લે તે વધારામાં.
  બસ ! ખેડૂતની તાસીર જ આ ! = આપણામાં કહેવત છે વેપારીનો દીકરો ખોટી થવું પડે એટલું થાય પણ ખોટ જરીકેય ખાય નહીં ,” જ્યારે ખેડૂત ? ખેડૂત ખોટ ગમે તેટલી ખાય પણ ખોટી ઘડીકેય થાય નહીં ! આમ જૂઓ તો કહેવત જરીકેય ખોટી નથી હો ! માલ લઇને માર્કેટયાર્ડમાં ગયા હોઇએ અને એની હરરાજી વખતે એક વાર, બે વાર, અને ત્રણ વાર થયું ન થયું, ને આપણે જે આવ્યું તે ભાગ્યમાં લખ્યું માની , ચલાખા ખેંચતાંકને થઇ જઇએ હાલતા ! ફળ કે શાકભાજી હોય તો કંઇકે બરાબર, પણ અનાજ, કઠોળ કે જીરુ-વરિયાળી જેવા વેચવામાં મહિનો-માસ વહેલા-મોડું થયે બગડે નહીં તેવા માલને થોડો સમય જરૂર જણાય તો રોકી રાખીએ. પણ જે મળ્યું તે લઇ કોથળાનો વિંટલો ખંભે મારતાંકને થઇ જઇએ ઘરભેગા ! અલ્યા ! ઘરને ખેતર આટલી વારમાં કોઇ ઉપાડી નથી જવાનું ! માલ તૈયાર કરવામાં 4-6 મહિના ઘરના સભ્યોને અને પોતાની જાતને હોમી- એના વેચાણમાં મળનારા વળતરની કંઇક તો ગણતરી રાખીએ !  
સભા સેમીનાર કે કૃષિ-પ્રવાસ માર્યા ફરે ! = ખેતી અંગેની નવી જાણકારી અર્થે કોઇ વાડી, ગૌશાળા,બગીચા કે ખેતી વિદ્યાપીઠ્ની મુલાકાતનો પ્રેરણા-પ્રવાસ ગોઠવાયો હોય કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી ચર્ચા-સભા કે ભલેને હોય મોટો આંતરરાષ્ટ્રિય સેમીનાર ! ખેડૂતને એમાં હાજરી અપાવવી આયોજકો માટે લોઢાના ચણા !                                     ખરી વાત આ છે=  અત્યારના આધુનિક સમયમાં કૃષિ વિષયક જ્ઞાનવર્ધક અને શરીર- મનને થાકથી બચાવનારા, નવી નવી માહિતીઓ  પિરસનારા અને ખેતીના સાંપ્રત પ્રશ્નોનાં માર્ગદર્શક બની રહેનારા લેખો,પત્રિકાઓ, વાર્તાલાપોનો પાર નથી. પણ આપણે એને ઢુંકડા આવવા દઇએ ત્યારે ને ? અને રેડિયોમાં પણ સવાર-સાંજ રાજકોટ તથા અમદાવાદ-વડોદરાથી ખેતી વિષયક વિવિધ પાસાઓની ચર્ચાઓ પ્રસારિત થતી હોય છે. એવું જ ટીવીમાંના બીજા કાર્યક્રમો  જતા કરીને આપણો સમય બચાવીએ પણ દુરદર્શન અને ઇ-ટીવી જેવાના ખેતી વિષયક કાર્યક્રમો  રજુ થતા હોય છે એ જોવાનો સમય જરૂર કાઢીએ. હા, આપણે છાપાં વાંચીએ. પણ નહીં વાંચવા જેવુંતો તેમાં 70 ટકા હોય છે. બાકીના 30 ટકામાં કોઇ કૃષિના અનુભવી લેખકની  કોઇ કોલમ આવતી હોય, સમાજ ઘડતરના કોઇ વિચારણીય લેખો કે પ્રસંગો છપાતા હોય, જીવનઉપયોગી મનપસંદ લખાણની કોઇ શ્રેણી ચાલુ હોય તે જરૂર વાચી લઇએ. પાન,માવા, તમાકુ કે બીડી બાકસ પાછળ ન ગણી શકાય તેટલો ખર્ચ મોટાભાગના ખેડૂતો કરતા જ હોઇએ છીએને ! તો પછી બે-ચાર કૃષિના સામયિકનું લવાજમ ભરી દીધું હોય કે દસ-વીસ ખેતીવાડીની પુસ્તિકાઓ ખરીદી રાખી હોય તો તેના ઉપયોગ દ્વારા કેટલીય વિગતો વાંચવાથી ધંધામાં માર્ગદર્શન મળી રહેતું હોય છે. 
  અને અંતે = સો વાતની એક વાત કે જે બાબતો  આપણને મહત્વની લાગતી હોય તેને માટે તો આપણે સમય કાઢી જ લઇએ છીએ કે નહીં ? હા, વાત મહત્વની લાગવી જોઇએ. સાચુ કહેજો ! આપણે સંબંધીઓ,ઓળખીતા કે મિત્રો-સગાના વીવા-વાજમના પ્રસંગોમાં કેટલી વાર દિવસોના દિવસો  વિતાવી દઇએ છીએ ? હનુમાનદાદાનો લોટ અને ખોડિયારમાની લાપસી ખાવા ક્યાંના ક્યાં જઇએ છીએ ? એ સમય કાઢવામાં આપણને અગવડ નથી પડતી કારણ કે તેનું આપણા મનમાં એક મહત્વ છે. ભલે તેમાંએ જઇએ,પણ તે જ રીતે કૃષિ વિષયક જ્ઞાન-વર્ધક કાર્યક્રમોનું મહત્વ સમજીએ તો આપણા વ્યવસાય માટે અતિ ઉપયોગી ટેકનીકો આપણે અપનાવતા થઇશું, અને એનો સમય ? સમય તો આપણને શોધતો આવશે. આપણે એને માટે વખત કાઢતાં થઇ જઇએ એટલે પછી જૂઓ ! ધંધામાં બરકત સાથે એક અનેરો આનંદ પણ ભળશે અને તન-મનને થાકથી દૂર રાખશે.

OLD IS OLD OR GOLD!!!


                     આપણા ખેડૂતોના વડવાઓ રાતદિવસ જોયા વિના લોહિપાણી એક કરી મહેનત કરવામાં પંડ્ય તોડી નાખતા હતા છતાં પહેરેલ કડિયાની બન્ને બાંય સાંધ્યા વિનાની તેમને પહેરવા મળતી નહીં. એનો અર્થ એવો નથી કે તેમનામાં ભાન ઓછી હોવાનું આ પરિણામ હતું. તે દિવસની ખેતી અને ખેડૂત પછાત હોવાનું કારણ તે વખતનું કૃષિવિજ્ઞાન પોતે સાવ અસોળ,ગરીબડું અને અવિકસિત હતું તે છે. છતાં એ ગરીબ વડવાઓ પોતાની તિવ્ર નિરીક્ષણ શક્તિ વડે સંકલિત કરેલો અનુભવ આપણને અમૂલ્ય વારસારૂપે આપી ગયા છે. તે વખતે ખેતી વ્યવસાયમાં પોતાની જે કાંઇ દુબળી-પાતળી આર્થિક સોય હતી તે આ અનુભવના બળે પોતાના કુટુંબની આછી-પાતળી જરૂરિયાતોની પૂર્તિ કરવામાં ખર્ચતા હતા. સંપૂર્ણપણે કુદરતી બળોને સમર્પિત તેમનું જીવન કુદરતની પર્યાવરણીય સ્મતૂલાના એક ભાગ રૂપે શુધ્ધતા જાળવતું હતું. જરૂરિયાતો બહુ ઓછી હતી, છતાં પુરુષાર્થ બહુ ગણતરી પૂર્વકનો રહેતો. પ્રભુ એટલેકે કુદરત પાસે એની માગણી રહેતી-    ગોરી, બે ત્રણ ગાવડી, નદી કાંઠે ગામ, મેઘ, મહેનત અને પોઠિયા-રાજી થઇ દે રામ ! આથી વધારે જોયતું જ નહોતું, અને એટલું માગ્યું મળી રહેતું હતું. જીવન સંતોષી હતું. મનથી એ બધા સુખી હતા.
હવા બદલાઇ છે = સમય બહુ ઝડપથી પસાર થઇ રહ્યો છે. વિજ્ઞાન એટલું આગળ વધી રહ્યું છે કે સવારમાં નવી લાગતી વાત કે તરકીબ સાંજ થાય ત્યાં જૂનીથઇ જાય છે અને કોઇ બીજી વાત કે પધ્ધતિ નવી તરીકે ઊભરી આવે છે.કહોને આજે કોમ્પ્યુટર યુગની બોલબાલા છે. કમાણીના અનેક ક્ષેત્રો ખોલી નંખાયાથી આખી દુનિયા ઊભડક શ્વાસે પૈસાની ખેંચાખેંચી અને લોંટાજોંટી કરી રહી છે. દયા,પ્રામાણિકતા અને વચનપાલનવાળી ખેતીની પહેલાની રીતોને જૂની કહી કાઢી નંખાઇ છે. ખેતીની પહેલાની અનુભવથી ઘડાયેલી પરિપાટીઓ અને રીતોનો છેદ ઉડાડી દેવાયો છે. આમ કહેવા પાછળનો મારો આશય સમય સાથે તાલ ન મેળવી શકે તેવી આઉટ ઓફ ડેટ-જૂની રીતોને વળગી રહેવાનો નથી, પણ નવા ના મોહમાં બહાવરા બની જવાય અને કંઇક સાચવી રાખવા જેવું છે, ખૂબ ઉપયોગી છે, તેને ય જૂનું છે ગણીને ઊંડી ખાઇમાં નાખી દેવું એ ડહાપણભર્યું તો નથી જ !
        અનેક ક્રિયાઓમાં વિસ્તરેલા આ વ્યવસાયમાં એવી ઘણી જૂની, રિવાજના રૂપે પળાતી પરિપાટીઓ,નુસ્ખાઓ અને પધ્ધતિઓ હતી, જેને વાગોળીએ-પચાવીએતો તેમાંથી મળનારાં સ્વાદ અને શક્તિ વિકટ પરિસ્થિતિઓમાં ટકવાની ક્ષમતા આપે છે. આજે ઊભા થયેલા પ્રશ્નો-પાણી બાબતના, રોગ-જીવાત બાબતના, જમીનને જીવતીરાખી, તેની ઉત્પાદકતા જળવાઇ રહે તેવા ખાતર બાબતના, કુટુંબની જરૂરિયાતને લક્ષમાં રાખી પાકની પસંદગી બાબતના થોકબંધ પ્રશ્નોના ઉકેલ વગેરે કહેવાતી જૂની-પુરાણી પધ્ધતિમાં મેળવી શકીએ તેમ છીએ.આજે લગભગ છોડી દીધેલી એ જૂનીરીતો ને જરા તપાસીએ
ધંધાની ચીવટના મુદ્દે = કહેવત સાચી હતી કે વેપારી પેઢીએ અને ખેડૂત શેઢીએ ખેડૂત ખેતરકે વાડીએ આંટો મારેત્યાં મોલાતને ખાતર ભર્યા જેટલો ગણ થાય ! અને તમે જૂઓ ! પહેલાના ખેડૂતો પોતાનો મોટા ભાગનો સમય વાડી-ખેતરોમાંજ ગાળતા.પોતે જાતે બધા જ કામો કરતા.ધંધા સાથેની આત્મિયતા અને દિલનો લગાવ જ એટલા રહેતા કે ખેડૂતને સ્વપ્નું આવતું તે પણ વાડી અને એની મોલાતનું જ આવતું. પણ અત્યારે? અત્યારેતો સાજી કેડ થોભે અને માંદી વાસીદું વાળે જેવો ઘાટ થાય છે. થોડીઘણી અક્કલ હોય તે બીજા ધંધા કરે અને ક્યાંયે ન હાલે એવા ખેતીકરે ! તો પછી તમે જ કહો, એની ખેતીમાં કેવીક ભલીવાર હોય ?
      અમાસ-અગિયારશના જડબેસલાક અગતા રખતા એનો પૂરો અર્થ જાણ્યો છે ? અગતો એટલે રજા. તે દિવસે બળદો પાસેથી કામ ન લેવાય.પણ તેની વિશેષ કાળજી લેવાય. પાણીથી ધમારવાના એટલેકે નવડાવવાના, શીંગડે તેલ ચોપડવાનું, હાથિયો કરવાનો, પગે-પેટે-આઉમાંથી ઇતરડીઓ વીણી લેવાની,બગાઇ પકડી લેવાની.પૂરો થાક ખવરાવી તાજા-માજા બનાવવાના. તે દિવસે મોઢે મીઠું ઘસાય, જરૂર હોય તો ઘી-તેલની નાળ્ય પવાય અને તેનો વિશેષ દિવસ ગણી ખાસ પ્રકારનું ખાણ પણ દેવાય.
ધંધાની એકાગ્રતાના મુદ્દે = ધરતી એજ આપણો આરાધ્યદેવ છે. તેની સેવા એ જ પૂજા-અર્ચના છે. વાવેલા પાકોની લાણી-વીણી પૂરી થયે મકરસક્રાંતિના દિવસે જમીનને ખેડવાનું મુહૂર્ત કરાતું હતું. વરસાદ થયે વાવણિયો જોડતી વખતે દંતાળ,ડાંડવા,બળદ અને ખેડૂતને કંકુ-ચોખાથી ચાંદલા કરાય, બળદોને ગોળના દડબાં અપાય અને એક દડબું હાથમાં લઇ, ઘરની બહાર નીકળતી વખતે જે સામું મળે તેને શુકનવંતું ગણી ગળ્યું મોં કરાવાય.મગ-જુવારની પહેલી મૂઠી ભરી વાવેતરની શરૂઆત કરાય. આ વિધિઓ એ અંધશ્રધ્ધા નથી. ખેતીના શ્રમયજ્ઞમાં સહયોગ દેનારાં બધાં દેવતૂલ્ય છે. અન્નદાતાની ભક્તિ ન ભૂલાવી જોઇએ. જેમ બીજા ધંધાર્થીઓ ધનતેરસના દિવસે ચોપડા પૂજન કરે છે તેમ આ આપણો પૂજાનો અવસર છે.
કાળ-દુકાળની ચિંતા = ખેડૂતને કોઠીએ જુવાર અને વખારમાં નીરણ બે વસ્તુ ઘરની હોય પછી બીજી જરૂરિયાતો ગૌણ ગણાતી. સારું વરસ પાક્યું હોય અને નીરણ ખૂબ થઇ હોય તો તેને ભરવાના ગોડાઉન નહોતા પણ વાળિયાઓઘા કે ગંજી બનાવી લેતા.અરે ! બે ઘર [રૂમ] હોય તો એકમાં નીરણ ભરી દેવાતી. આવતું વરસ કોને ખબર કેવું થશે ? આપણને જરૂર પડશે તો ઠીક, નહીંતો સગા-સંબંધીને કામ લાગશે. નવો દાણો થાય નહીં ત્યાં સુધી અનાજ નહોતા વેચતા. અને નીરણતો વેચવાની વસ્તુ જ નહોતી ગણાતી. અને આજે ? ખેડૂતો પોતાના ઢોરાં પૂરતીય નીરણ નથી ઉગાડતા. ભર ચોમાસે વેચાતી લેવા નીકળવામાં ભોંઠપેય નથી આવતી આજના ખેડૂતને !
ખેડૂતની જરૂરી આવડતના મુદ્દે = ખેડૂત હોય અને ગાડા-નારણ કે સાંતી નાડતાંન આવડતું હોય એવું તો બને જ નહીંને ! ઉલાળ-ધરાળ કે આડુંખેંચવું કે નોખું તાણવું શાનાથી મટે એવા કીમિયાથી તે અજાણ હોય ? કોસ હાંકતા હોય અને વરત કે વરતડી તૂટે તો તેને સાંધાની સાંકળી પાડતા ન આવડે તે કંઇ ખેડૂત કહેવાય ? ખેડૂત હોય અને કૂવામાં ઉતરતા કે વાવણી કરતા નઆવડે કે બળદના મોરડા, છીંકલાં અને જોતર ગુંથવાનું ન ફાવે કે સુંડલા બાંધવાનું કે ખાટલા ભરવાનું ન ફાવે તો તો ધંધાને લજવ્યો જ કહેવાય ને ? અરે, સાજે-માંદે સારવાર આપવા ઢોરાંને બેસારી કે સુવરાવી દેવાં, નાળથી દવા કે તેલ પીવડાવતા ન આવડે તો એ ખેડૂત એટલો મોળો ગણાતો !
        નિશાળમાંથી જેમ આંકના ઘડિયા મોઢે કરવાના ગયા અને ગુણાકાર-ભાગાકાર બધું કેલ્ક્યુલેટર કરવા માંડ્યા અને બાળકોની ગણનશક્તિ સમાપ્ત થઇ, તેમ આજની ખેતી ભલે વિકસિત ગણાતી હશે, પણ ખેડૂતે પોતાની કુશળતા ખોઇ છે. આ બધું નવરાશની પળોમાં વિચારવા જેવું નથી ?

“આંકડો”


       જે દિ આજની સ્ટોપેક અને એનાસીન જેવી પૈસા પડાવી લેનારી માથાનો દુ:ખાવો મટાડનારી [કે ઊભો કરનારી] દવાઓ નહોતી કે તાવને ટાઢો પાડવાની મેટાસીન અને નોવેલ્જીન જેવી દવાઓ બજારમાં નહોતી ત્યારે માથું દુ:ખે કે તાવ આવે-બેય દુ:ખની એકજ દવા આંકડાનાં પાન ગણાતી. મળે ત્યાં સુધી પાકા-પીળા અને એવા ન હોય તો લીલા ચાર-પાંચ પાંદ લઇ,તાપમાં નવશેકા વરાળિયા કરી, માથે અને કપાળે આખેઆખામૂકી, ઉપર કપડું વિંટાળી સૂઇ જવાનું. અરે ! ઘડીક ઉંઘી જ જવાનું મારાવાલા ! પછી જોઇલ્યો એનો ચમત્કાર ! જાગીએ એટલે થઇ ગયા હોઇએ પરસેવે રેબઝેબ ! તાવ અને માથાનો દુ:ખાવો બન્ને થઇ ગયા હોય ગાયબ ! આંકડા તો એવું કામ કરતા.પણ સમજણે સમજણે ફેર છેને ભાઇ ! આજના જુવાનિયા શેઢે-પાળે સારા ખડના ભોથાં-થુંબડાએ ખોદી-સળગાવી મારે ત્યાં આંકડા તો શેના રહેવા દે ખરું ને !
કાંટો ખેંચી દેખાડે = આપણા ખેતીના ધંધામાં વાડ અને શેઢાના ઝાળાં-ઝાંખરા સાથે અવાર-નવાર પનારો પડતો હોય છે. અને આ ઠેકાણે કાંટા સિવાય તો બીજું શું હોય કહો ! તેની વચ્ચે કામ કરતી વખતે પગમાં પગરખાં પહેર્યાં હોય તે છતાં વિસરચૂકથી પગમાં કાંટો વાગી જઇ અંદરને અંદર ભાંગી જાય તો ? આવા ટાણે કાંટો જ્યાં ભાંગીગયો હોય ત્યાં સોય કે પીનથી ચામડી ખુલ્લીકરી આંકડાના કૂણા માથાંનું કે પાનના દીંટિયાનું દૂધ ભરી દેવામાં આવે તો તમકારા થશે ઘડીક, પણ સવાર થતાં ચામડી પોચી પડી જઇ, કાંટો છૂટો પડી જશે, અને અંદરની બાજુથી થોડુક દબાણ આપ્યેથી અંદર ભાંગી ગયેલ કાંટો હળવેથી બહાર આવી જશે.આંકડાના દૂધનો કાંટા પરનો પ્રભાવ તો જૂઓ ! મારા એકનો નહીં, બહુ બધા લોકોનો વરસોનોજૂનો આ અનુભવ છે.જુવાનિયાઓ ! કાંટો પગમાં ભાંગી જાય તો આ નુસ્ખો અજમાવી જોજો ! તો આંકડાને કાપતા તમારો હાથ જરૂર થોથવાશે.
ઔષધિય અનેક ઉપયોગ = આયુર્વેદની દ્રષ્ટિએ વ્યવશિત અભ્યાસ કરવામાં આવે તો કેટલાય દર્દોમાં આંકડાની ઉપયોગિતા જણાઇ આવશે. કોઢ, ખરજવું, ધાધર, પાઇલ્સ, પથરી, કૃમિ,ખાંસી,શ્વાસ.સળેખમ,દાંતનો દુ:ખાવો,કમળો,ઘુંટણના સોજા,કાનનો દુ:ખાવો વગેરે કેટલાય માનવ દર્દોમાં તેના દ્વારા રાહત મેળવાતી હોય છે.કોઇ દર્દમાં પાન ઉપયોગી બને છે, કોઇમાં તેનું દૂધ તો કેટલાકમાં તેનાં મૂળિયાં,એની છાલ અને અંગ-ઉપાંગોનો ધુંવાડો કે સળગાવ્યા પછીની રાખ ! પણ એક ચેતવણી કે આંકડો ગણાય છે ઉપવિષ એટલે જેટલી જાણકારી હોય તેટલામાં ઉપયોગ કરવો. નહીતો નવતર પ્રયોગ કરતા પહેલાં જાણકાર વૈદની સલાહ લેવી. આડ અસરતો કરીન પાળીએ તો જો લાડવાનીયે થઇ શકતી હોય તો આંકડાની તો થાય જ !
ઓળખ અને વર્ધન = આંકડા હોય બે જાતના. દેખાવ,ઉંચાઇમાં બધીરીતે લાગે સમાન પણ એકને ધોળા ફૂલ ઉઘડે જ્યારે બીજાને આછા ફાલસારંગી. ઉંચાઇ 5-7 ફૂટ જેટલી થાય, પણ મોટાભાગે એકથડ પર નહીં, નીચેથી જ ઘણીબધી ડાળીઓ નીકળે.એના પાંદ વડના પાંદ જેવામોટાં અને એનાથી ઘણા દળવાળા.પાન પર હોય ઝીણી ઝીણી રૂંવાટી.અને પાંદ સહિત તમામ કુમળા ભાગોની સપાટી પર હોય સફેદ રંગના પાવડરનું આછું આવરણ ! જે સૂરજનાતડકાને અડક્યાભેળો પાડે છે પાછો ! અંદરના પાણીને બાષ્પીભવન દ્વારા ઉપાડી જવા દે તે બીજા ! આંકડાના રોપાને ઉછેરવા પાણી પાવું પડ્યું હોય તેવું સાંભળ્યું છે ક્યાંય ? છતા આંકડો કરમાય ગયેલો ક્યારેય નહીં ભળાય. વળી એને અમૂક જમીન ફાવે કે અમૂક ન ફાવે એવુંએ નથી. છતાં એને રોપવો પડ્યો હોય એવુંએ સાંભળ્યું છે ક્યારેય?
      પરમ કૃપાળુ કુદરતે આવી ઉપયોગી વનસ્પતિ આપણી બેદરકારીથી નષ્ટ ન થઇ જાય તે માટે એના બીજનું વિસ્તરણ આપોઆપ થઇ શકે તેવી રચના કરી છે. આંકડાના ફળોને ધ્યાનથી નિરખજો ! જાણે લીલા રંગની કાચીકેરી ! એ પાકે ત્યારે અંદરથી રસ કે ગોટલો નહીં,રૂ જેવા રેશમી રેસા અને સાથે ચોટેલા હળવા એવા બીયાં નીકળે. આંકોલિયાં [ફળો] પાક્યા પછી આપમેળે ખુલી જાય અને પવન આવતા અંદરથી રેસાવાળી હવાઇ છત્રીઓ સાથે બીયાં નીકળી પડે છે દુનિયાની સફરે ! જ્યાં ઉતરાણ થાય ત્યાં નાખે ધામા ! જો ખાસ કોઇ વતાવે નહીં તો વરસાદી પાણી પીને આપોઆપ ઉગી નીકળે ! એકવાર આંકડો ઉછરી ગયો ? ઝડામૂળમાંથી કાઢવો મૂશ્કેલ ! કાપી લઇએ એમ બમણા-ત્રમણા જોરથી નીકળે ! એની કૂણી ફૂટ્ય અને પાંદા બકરાં માટે જાણે ગોળનાગાડાં જડી ગયાં !
ખેતી ક્ષેત્રે ઉપયોગિતા =   હવે જ્યારે આ ઝેરીલા પેસ્ટીસાઇડ્ઝ અને રાસાયણિક ખાતરો બંધ કરી ખેડૂતો સજીવખેતી તરફ વળતા જાય છે ત્યારે પોષણ અને સંરક્ષણ બન્ને મુદ્દે આંકડો ખેડૂતની ભેર કરનારો સાબિત થયો છે. જૂઓને, આંકડામાં પોટાશ હોય ભરપૂર, તેના પાન અને ડાળી-ડાંખળાં કાપી,ટુકડા કરી, સેડવીને બનાવેલું ખાતર જમીનમાં પોટાશના ઉમેરણ ઉપરાંત તેની ખારાશ તોડવાનું કામ કરી, જમીનને લૂણો લાગતો બંધ કરે છે.અરે ! ડાંગરને તો આ ખાતર બહુ ભાવે છે.
       ડૉ. અશોક શાહના કહેવા અનુસાર આંકડાની પાન-ફૂલ સહિત ભારીઓ બનાવી, થોડા થોડા અંતરે ધોરિયામાં સુવરાવી, તેનાપરથી પિયતનું પાણી પસાર કરવામાં આવે તો મૂળજન્ય રોગોમાંથી પાકને બચાવી, જમીનનો ક્ષાર ભગાવે છે.અને પાંદડાં-ડાંખળાં ધીમે ધીમે સડીને સેંદ્રિય ખાતર બની જાય છે. ઉધઇનો ત્રાસ કાળી અને ભારે ચીકણી જમીનમાં ઓછો હોય પણ ગોરાડુ અને રેતાળ જમીનમાં તો કેટલીક વખત ઉધઇનો ઉપાડો ખેડૂતોને હાથજીભ કઢાવી દેતો હોય છે. જોકે સજીવખેતી કરનારાઓમાં ઉધઇ વિષે બે મત છે. કોઇ ઉધઇને અળસિયાની જેમ ઉપયોગી ગણે છે દા.ત. ઉમરગામમાં ભાસ્કરભાઇ સાવેની વાડીમાં ઉધઇને નિરૂપદ્રવી જીવાત ગણે છે. જ્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉધઇથી ત્રાસી ગયા છે. વિજ્ઞાનિકોએ આ બાબત હજુ કોઇ નક્કર તારણ આપ્યું નથી. પ્રો.અનિલ ગુપ્તાના આંકડો ઉધઇનો પાક્કો દુશ્મન લખાણમાં જણાવાયું છે કે ઉધઇના ત્રાસમાંથી બચવા ખેડૂતો અવનવા અખતરા કરતા રહેતા હોય છે.અને તેમાં તેઓ ઠીક ઠીક અંશે સફળ પણ થતા હોય છે.દા. ત. આંકડાના પાન-ડાંડલાને થોડા દિવસ બંધ માટલામાં સેડવ્યા પછી તેના દ્રાવણથી બીજને પટ આપવા, કે એવા દ્રાવણનો છોડના મૂળ વિસ્તારમાં છંટકાવ કરવો-તેવી ભલામણ કરે છે. કેટલાક આંકડા અને થોરના મિશ્રણથી તો કેટલાક તમાકુડસ્ટ, લીંબોળીખોળ અને આંકડાના પાણીનું મિશ્રણ કરી છોડના મૂળ પાસે રેડીને ફાયદો મેળવે છે. ઉધઇને ભગાડવા માટે આંકડો બહુ ઉપયોગી જણાયો છે.
       સામાન્ય રીતે રસોઇમાં ઇંધણ તરીકે આંકડાને કોઇ બાળેનહીં.-હનુમાનજીને પ્યારો રહ્યોને ! એ જ આંકડાનું લાકડું પાછું યજ્ઞ માટે સમિધ ગણાયું ! ખીજડાની જેમ હવન માટે તેને શોધવા નીકળવું પડે કહો !
 મેલેરિયા ઝેરી- આંકડો એનો વેરી = પરિસર-જાન્યુ,-2005ના અંકમાં એક વિશિષ્ટ નોંધ વાંચેલી કે જૂના ગ્રંથો અને આયુર્વેદનું કહેવું છે કે આંકડાની એકાદ ફૂટ લાંબી,કૂણી-બેત્રણ પાંદાવાળી ડાળી તોડી, ગાયના 250 ગ્રામ ઉકળતા દૂધને કૂણા પાંદવાળા ભાગથી હલાવતારહેવાથી, દૂધ ધીમે ધીમે આછા લીલા રંગનું થઇ જશે.ત્યારબાદ તેમાં થોડુંજ ગળપણ આવે એટલામાટે બે ચમચી સાકર ઉમેરવી..અને આંકડાની ડાંડલીથી હલાવતા હલાવતા માવા જેવું ઘટ્ટ બની જાય ત્યારે તાપ પરથી નીચે ઉતારી લઇ, ઠરવા દઇ, પેંડો બનાવી એકીસાથે એક જણે ખાઇજવાનો. પણ કોણે ? જેનેહાલ મેલેરિયાતાવ ન આવતો હોય એમણે ! છેનેચમત્કારઆંકડાનો ખરાખરીનો ! મેલેરિયાહવેપછીવરસભર ન આવેએવીઆંકડાની લેખિત ગેરંટી !
આટલું જરૂર કરીએ =આપણી વાડીમાં લાગઠ વાવેતર આંકડાનું ભલે ન કરીએ.પણ શેઢે-પાળે કે અડબાઉ જગ્યાએ ઉગી નીકળતાકે ઊભેલા આંકડાને ઉજરવા દઇએ.તેને થોડું રક્ષણ આપીએ.અને તેના ઉપયોગની જાણકારી મેળવી ખેતીક્ષેત્રે પોષણ-સંરક્ષણ બન્નેબાબતે તેને ભાગેઆવતું કામ કરવાદઇએ.જેથી પર્યાવરણ અનેખેતીસમતૂલામાંએપણભાગીદાર થઇ શકે.
        પંચવટી બાગ. માલપરા જિ. ભાવનગર                                 --હીરજીભીંગરાડિયા [મો.93275 72297]