બુધવાર, 12 નવેમ્બર, 2014
શુક્રવાર, 7 નવેમ્બર, 2014
આંબા પટેલનો એ દીકરો. હરખો એનું નામ. શરીર
વજનદાર અને બુધ્ધિ યે જાડી ! પણ આજ હવે એય ત્રણ છોકરાંનો બાપ બની ગયો હતો અને એના
જ મોટા દીકરા ‘બાઘુડા’ના લગન લેવાયા
હતા. માંડવા મુહૂર્તનો સમય ચાલી રહ્યો હતો. આંગણે શોભાની અભિવૃધ્ધિ અર્થે ગામલોક
અને સગા-સહોદર સૌ હરખાઇ રહ્યા હતા. બહેનો મંગળ ગીતો ગાઇ રહી હતી. ગોરબાપા મંડપ
રોપાણની વિધિ માટેના પાંચ પ્રતિનિધિ કુટુંબીજનોને હાથમાં જળ આપી હાથજોડ્ય કરાવી
મંત્રોચાર કરવાની શરૂઆત કરે ત્યાં જ “ખમજો ગોરબાપા, ઘડીક
ખમજો !” બોલી, હાંફળા
ફાંફળા થતાં હરખોભાઇ ગોરને રોકી રહ્યા અને બોલ્યા કે “અમારે
ફળિયે મીંદડી અને બચોળિયાંને કોઠીમાં પૂર્યા પછી જ માંડવો રોપવાનો રીવાજ છે. મારા
અદાને મેં એમ કરતા મારા લગન વખતે નજરો નજર જોયા છે, મેં મીંદડી અને
બચોળિયાંને પકડી લાવવા બેચાર જણાને ગામમાં દોડાવ્યા છે, આવતા જ
હશે- ઘડીકમાં શું ખાટું-મોળું થઇ જવાનું છે ? ઘડીક હાંહતા
પડો, મીંદડી અને બચડાંને આવવા દ્યો !” ગોરબાપા તો ઊભા થઇ ગયા ને ડાયરો યે બધો છક થઇ
ગયો ! આ શું ? વાતાવરણ ગંભીર બની ગયું. ડાયરો બધો હરખાની ઠેકડી
ઉડાડી તેને પાઇનો કરી નાખે, તે પહેલાં –
ડાયરામાં બેઠેલા વડિલ કરશનદાદા હળવેકથી ઊભા થયા અને કહ્યું “ભાઇ
હરખા ! તું શ્વાસ હેઠો મેલ્ય અને અહીં ઓરો, મારી પાંહે
આવ્ય ! હું તને મીંદડાંવાળી આખી વાતનો ફોડ પાડું ભૈલા ! હરખોભાઇ પાંહે આવ્યો એટલે
ખભે હાથ મૂકી બોલ્યા કે “જો હરખા ! તે દિ’ તું
નાનો હતો અને તારા લગન લેવાણા હતા, તે દિ’ તું કહે છે એમ
બન્યું હતું એ વાત સાચી ! પણ મૂળ વાત એમ છે, કે તારા અદા
આંબોભાઇ હતો બહુ દયાળુ જીવ ! એને એકવાર મા વગરનું મીંદડીનું બચડું રાડો પાડતું
નજરે ચડેલું, તે દૂધ પાઇને મોટું કરેલું. પછી તો એ બચલું મટી
મોટી મીંદડી થઇ ગઇ અને નીરણની કોઢ્યમાં વિયાંણી, ને થઇ ગઇ
બચ્ચરવાળ ! એમાં આવ્યા તારા લગન ! આજની જેમ માંડવામાં સૌ ભેગા થયેલાં ને મીંદડી
અને બચલાં – તારા અદાના હતા બહુ હેવાયાં ! તારા અદા તો સૌને “આવો
!આવો !” કહી આવકાર આપે. ને બચલાં ને મીંદડી યે માળાં બહુ
ખુશ-તે ડાયરામાં વચ્ચે કરે કુદાકુદ ! મારું હાળું આનું કેમ કરવું ? તારા
અદા તો અકળાયા,એટલે પકડીને પૂરી દીધા હતાં માં-છોરું બધાને કોઠીમાં
! બીજાને નડતર ન થાય અને સૌની સરભરા કરી શકાય –તેવી વ્યવસ્થા
ખાતર એણે કોઠીમાં પૂરેલાં, નહીં કે તમારા કુટુંબના આવા કોઇ
રિવાજના પાલન માટે. એટલે ગોરબાપાને કહે કે તમતમારે વિધિ ચાલુ કરો-મંડપ રોપાવો,અને
આપણે લાવો ગોળ-ધાણાં-અને સૌનાં મોં કરાવો મીઠાં !” કરશનદાદા વડિલે
પ્રસંગનો દોર હાથમાં લઇ પ્રસંગને હળવો બનાવ્યો.
આવું તો ઘણું ય
છે ! = આના જેવા
કેટલાય સાચા-ખોટા ખ્યાલો ખેડુત કુટુંબોમાં ઘર કરી ગયા છે. આપણે એવા કેટલાક
ખ્યાલોનું પૃથુકરણ કરીએ કે જેથી સાચી ખબર
પડે કે તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક સત્ય છે ખરું ?
[1]
દરિયાકાંઠાથી દૂરના વિસ્તારમાં નાળિયેરીના ખામણામાં ખાતરની
જેમ “મીઠું” ઉમેરીએ
તો ફળો વધુ આવે છે =
‘બાળક અને બુઢ્ઢા
બેય સાવ સરખા !’ એવું આપણે ઘણીવાર સાંભળતાં હોઇએ છીએ. એનો સાદો અર્થ
એવો થાય કે બાળકની જેમ વૃધ્ધોને મોઢામાં
દાંત રહ્યા હોતા નથી, અને હોય તો મજબૂત હોતા નથી. એટલે એને
ખોરાક બાળકોના જેવો દૂધ અને લાળિયું [શીરો],ખીચડી જેવો
કુણો-પોચો-પ્રવાહી અપાય. એનો સ્વભાવ પણ બાળક જેવો-ઘડીકમાં રીજી જાય તો ઘડીકમાં
ખીજી જાય, વાતે વાતે ખોટું લગાડી જાય, એવો
લાગણીશીલ થઇ ગયો હોય, એટલે વાત કરવામાં ધીરજ રખાય. એ થોડું
તાણીને બોલે તો આપણે મનમાં લાવ્યા વિના-એનું ખોટું યે ન લગાડાય વગેરે.
પણ કોઇ જણ એનો અર્થ એવો યે કરી નાખે કે
“ છોકરું તોફાની હોય તો તેને હોસ્ટેલ ભેળું જ કરાય !” તેમ દાદા-દાદી જ્યારે જયેં હોય તયેં ખટખટ કર્યા
કરતાં હોય તો મૂકી અવાય એને ય ઘરડાઘરમાં !” બુઢ્ઢા માબાપ
બાબતે જેમ એક કહેતીના બેઅર્થ લેવાયા તેમ “નાળિયેરીને
દરિયાકાંઠો બહુ ફાવે !” તે વાતનો વૈજ્ઞાનિક અર્થ એ છે કે “નાળિયેરીને
દરિયાકાંઠાની હવા વધુ માફક આવે છે.” નહીં કે દરિયા
કાંઠાનું ખારું ઉસ પાણી કે કાંઠાની ખારી ધૂધવા જેવી જમીન ! મીઠું જે જમીનમાં
ઉમેરવામાં આવે તે જમીન અતિ ખારી-નકામી બની જાય છે. નાળિયેરીના ખામણાંમાં મીઠું
ઉમેરવાનો પ્રયોગ કરવા જેવો નથી. આવી ભૂલ ન કરાય.
[2] તૂરિયાના
વેલાને ચીરી- અંદર કારેલીનો વેલો ભરાવી દેવાથી એ વેલાપર કારેલા તૂરિયા જેટલા લાંબા
આવવા લાગે છે =
માનોકે તૂરિયા અને કારેલીના વેલાનું
બંધન સફળ થઇ ગયું તો પરિણામે “તૂરિયા અને કારેલી બન્નેના ગુણ ભેગા થઇ
જઇ-કારેલું મોટું તૂરિયા જેવડું થવા લાગે” એ વાત
વૈજ્ઞાણિક સત્યથી ઘણી વેગળી છે મિત્રો ! હા, એટલું જરૂર થાય
કે કારેલીનો વેલો થોડો વધુ સારો ફાલે ! પણ એના ફળનું કદ તૂરિયા જેવડું લાંબું થઇ
જતું નથી. તૂરિયા અને કારેલી બન્નેના ગુણવાળા ફળ લાગે તેવો વેલો બનાવવો હોય તો
પહેલાં એક બીજાના ફૂલ સાથે ક્રોસ-ફલીકરણ કરવાનું [કોઇ વનસ્પતિ શાસ્ત્રીને પહેલાં
પૂછવું પડે કે આવું થાય કે ન થાય ? ] ગોઠવી, જે બીજ તૈયાર
થાય તે રોપવાથી ફળો મોટાં મેળવી શકાય,
વેલામાં વેલો ભરાવી દીધે સંકરણની ક્રિયા થાય નહીં.
[3] ગાયના ‘ખાપરી’
[સરાળવું] થયેલ દૂધને, મુંગા
મુંગા જઇ ,રાફડે રેડી
આવવાથી ગાયને ‘ખાપરી’ મટી
જાય છે =
આ ઉપાય કર્યા જેવો નથી ભાઇઓ ! ‘રાફડા’ને અને ‘સરાળવા’ ને કોઇ
લેવાદેવા નથી. ‘સરાળવું’ એ ગાયના
આઉ-આંચળમાં કોઇ ઇજા થવાથી –અંદર થયેલ પાકનું “મેસ્ટાઇટીસ” નામનું
થતું દર્દ છે. જેથી દૂધમાં લોહી અને રસી
આવવા લાગે છે.આંચળમાંથી આવું દૂધ નીંદોવી લેવું જરૂરી છે અને તેને રાફડા જેવી
દૂરની જગ્યાએ રેડી દઇ નાશ કરવાનો યે વાંધો નથી. પણ એટલું કર્યા માત્રથી સંતોષ માની
લેવાને બદલે ગાયના એ માંદા આંચળની ડોક્ટરી સારવાર કરાવવી અત્યંત આવશ્યક છે. રાફડે
દૂધ રેડી આવવાથી ‘ખાપરી’ ન મટે. અને
ગાયનો એ આંચળ કે ક્યારેક આખેઆખું અડાણ ખોટું પડવાની પૂરી ભીતિ છે ભાઇઓ !
[4] “હીટ’માં
આવ્યા પછી ખુંટ કે પાડા દ્વારા ફાલુ થયેલ
ગાય કે ભેંશ ઘેર પાછી ફરે ત્યારે ડેલામાં ગરતાંવેંત તેના કપાળમાં દોણકું
ફોડવાથી એ ‘ઉથલો’ કરતી
નથી = જાનવરના કપાળમાં ઓચિંતાનું દોણકું ફોડ્યે તો તે એકદમ ભડકી
જાય,બી જાય-ક્યારેક ઝાડો-પેશાબ પણ કરી જાય ! અને શરીરમાં આરોપાએલ નર બીજ –પ્રવાહી
પણ શરીર બહાર સરી પડે એવી ભીતિ છે. પરિણામ ઉલટાનું ઉંધું આવી શકે છે. હા, એવું
ચોક્કસ કરાય કે ફાલુ થયેલ જાનવર બેચાર કલાક હેઠું ન બેસી જાય, તે
ઊભું ને ઊભું રહે, કે હાલતું ચાલતું રહે તો ગર્ભાશયમાં આરોપાએલ બીજ
ત્યાં ટકી રહે. બેસી ગયે સમગ્ર પેટ પર
યાને ગર્ભાશય પર પણ દબાણ આવતાં પ્રવાહી બહાર નીકળી જવાનો ભય રહે, એટલે
બેચાર કલાક બેસી ન જાય તેનું ધ્યાન રાખતાં થઇએ તો ‘ઉથલા’ નો ભય
ટાળી શકાય છે.
[5] “હીટ” માં
આવેલ ગાયને જો ‘નીલગાય’ ના
નર ‘લીલ’ નો
ભેટો થઇ જાય, તો તે ગાય ફળી
જાય છે =
અલ્યાભાઇ ! ઘોડાને શિંગડાં ઉગે એવી વાત
થઇ આ ! આંબે આંબો કે બોરડી સાથે અન્ય બોરડી, આમળી સાથે
અન્ય આમળી કે બહુ તો રાયણ સાથે ચીકુની ભેટ,આંખ કે નૂતન
કલમ થઇ શકે. કંઇ આંબો કે ઇંગોરિયાની કે ખીજડા સાથે આમલીની કલમ થોડી થઇ શકે ? કોઇ પણ ગાય વર્ગ બીજી ગાયની જ ઓલાદ-કાંકરેજ,થરપાર્કર
કે શાહીવાલ-ગીર, એકબીજી
ઓલાદના નર-માદા પ્રાણી એકબીજા સાથે ફાલુ થઇ શકે. ગાય વર્ગનો ખૂંટ કંઇ ઘોડી, ગધેડી
કે ઊંટડી સાથે ફાલુ ન થાય. ‘નીલગાય’ એ ગાય વર્ગનું
પ્રાણી જ નથી. એ તો કાળિયાર અને ચિંકારા જેવી ‘હરણ’ની એક
પ્રજાતિ છે. હિંદુ સમાજમાં રોજડાંને ધાર્મિક રક્ષણ મળી રહે, એ
અર્થે કોઇ મુસ્લિમ બાદશાહે ‘નીલ’ ની પાછળ ‘ગાય’
ઉમેરીને તેને અવધ્ય ઠરાવી દીધેલ છે. જે તે વર્ગના પ્રાણીની માદાનું ઋતુમાં આવવું
અને એના જ વર્ગના નર પ્રાણીનું તેના તરફ આકર્ષણ થવું-અને ફાલુ થવાનો પ્રયત્ન થવો –તે બધા
આવેગો કુદરત પ્રેરિત હોય છે ભલા ! કુદરતની અવજ્ઞા કરી માણસ સિવાય
કોઇ જીવ નિયમ બારો વ્યવહાર કરતાં ભળાતો
નથી.
[6] ‘નર’
પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઇએ એટલે એ ‘નર’ ઝાડને
પણ ફળો લાગવા માંડે છે =
હા, થોડા ઘણા અંશે
આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઇંડા મૂકવાનું
કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય
છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી
જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક
હોય છે. પણ જ્યારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે
વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ ક્યારેક ઇંડાં મૂકવા
લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનતી નથી. કંઇક એમ જ.......
નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો
લાગતાં નથી. પણ જ્યારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઇએ,
ત્યારે એને ઇજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઇ જાય છે, અને “અકાળે
મૃત્યુ આવી જશે” એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે “અરેરે
! બચ્ચાં [બિયાં] પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?” એટલે
નર ફૂલોની વચ્ચે માદા ફૂલો ખિલવા માંડે છે.અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે
છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી
બંધાએલાં ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને
જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર-ઘાટઘૂટ વિનાના અને
અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિએ સૌ જીવોમાં પોતાનો વંશ ચાલુ રાખવાની
જે અદમ્ય ઇચ્છા મૂકી છે તે આના પરથી સાબિત થાય છે.
[7] મીઠી
લીમડીને ”છાશ”
પાવાથી તે જલ્દી મોટી થાય છે.=
સાચી વાત છે. કારણ કે “છાશ” એ
સજીવ ટોનિક છે. એ એક પ્રકારના હોર્મોંસનું પણ કામ કરે છે.છાશ એ જમીન અંદરના
બેક્ટેરિયાને ઉત્તેજિત કરી વધુ સક્રિય બનાવતી હોવાથી છોડને જરૂરી પોષકદ્રવ્યો
પૂરતા પ્રમાણમાં મળવા માંડતા વિકાસ વધારે થાય છે. માત્ર મીઠી લીમડીને જ નહીં, કોઇ
પણ ઝાડ-છોડને છાશ પાવામાં આવે તો તે ઉત્તમ ખાતર જેટલો ગુણ દેખાડી ફાલ સુધ્ધાંમાં
લાભ દેખાડે છે. માત્ર આ ‘છાશ’ હોવાનો
ચમત્કાર નથી પણ ‘સજીવ ટોનિક’ હોવાનો બધા જ
ઝાડવાઓને લાગુ પડતો ચમત્કાર છે.
[8] ઘઉંની
વાવણી કરનાર જણને ખ્યાલ ન રહે તેમ બિયારણના જથ્થામાંથી થોડા ઘઉં ચોરીલઇ, તેની
લાપસી બનાવાય તો ઘઉંનો તે ઘેરો ખૂબસારો
ઉતારો લે છે = જોજો
અત્યારના સમયમાં રખે બિયારણ ચોરી-લાપસી બનાવવાની ભૂલ કરતા ! કારણ કે અત્યારનું
બિયારણ કોઇ ઝેરી દવા ભેળવ્યા વિનાનું હોવાનું જ નહીં ! બાકી આ માન્યતાનો અર્થ એવો
થાય કે ખેડુતો ઘર-ઘરાઉ બીજ રાખી બળદના દંતાળથી અને જાતે બિયારણ હાથથી ઓરીને વાવણી
કરતા, ત્યારે બીજના જથ્થામાં થી કોઇ થોડા ઘઉં ચોરી જાય, એનો
ખ્યાલ પણ એને જ ન રહે એવા વાવણી કરવામાં પૂરા એકાગ્ર હોય ! તેની નજર ‘આસપાસ
શું બની રહ્યું છે, કે કોની અવર જવર ચાલુ છે ?’ તેમાં
ન હોય ! પણ યોગ્ય ઊંડાઇએ જ બીજ પડે છેને ? મૂઠીમાંથી બીજ
બરાબર માપસર સરકે છેને ? પાછળ બિયાં ખુલ્લાં તો નથી રહી જતાંને ? વગેરે
બાબતોની ચિવટ રાખી ‘વાવણી ઉત્તમ કેમ થાય ?’ બસ, તેમાં
જ વ્યસ્ત અને મસ્ત હોય તેને ક્યાંથી ખબર હોય કે બિયારણના ઢગલા પાસે કોણ આવ્યું
તેની ? એટલે “જેની વાવણી
ઉત્તમ એનું ઉત્પાદન અઢળક” મળે જ ! એટલે એ દ્રષ્ટિએ આ કહેતી સાચી
ગણાય. દિલ રેડીને જે કામ થાય, એની ભાત્ય જુદી પડે જ મિત્રો ! અને
હા...હો ! એક શક્યતા બીજી એ ખરી કે વાવનારો ઘઉં બહુ ઘાટા વાવી દે, તો
છોડ ફૂટ્ય ખૂબ ઓછી લે અને પૂરા પહટે પણ નહીં ! એટલે થોડાક ઘઉં ચોરી લીધા હોય, તો
એટલું તો માપે બીજ વવાયને ? એટલે માપ બારું બીજ વાવતો રોકવા આ
યુક્તિ કદાચ લડાવી હોય !
[9] લીંબુડીના
ખામણામાં મરી ગયેલું કુતરું દાટીએતો લીંબુડીને ફાલ વધુ લાગે છે =
સાવ સાચી વાત છે ભાઇ ! માત્ર લીંબુડી જ
નહીં, પણ કોઇપણ ફળઝાડ- આવા કુતરાના દેહમાંથી સડીને ખાતર
બની ગયેલ સેંદ્રીય પદાર્થ જેને ખાવા મળે, તે એનો બદલો
બળુકો જ આપી જાણે ! પણ એ ખાડો છીછરો નહીં, થોડો ઉંડો કરી, એમાં
દાટી, ઉપર બરાબર માટી દાબી દેવી. જેથી તેની દુર્ગંધ ન
આવે. બાકી કોઇપણ જીવંત વસ્તુના અવશેષો : વાળ,ચામડું, માંસ,
હાડકાં વગેરે કોહવાયા પછી જે ખાતર તૈયાર થાય, તે બહુ કસદાર
હોવાનું. પરિણામે એનો લાભ લેનાર ઝાડ બળુકું જ થવાનું. લોકભારતી ગ્રામવિદ્યાપીઠના
મારા અભાસકાળમાં આવા મરેલાં કુતરાં-મીંદડાં શોધી શોધી મોસંબીનાં ખામણાંમાં અમે
દાટી દેતા અને મોસંબીનો ઉત્તમ ફાલ મેળવતા તેનો જાત અનુભવ લીધેલો.
રવિવાર, 2 નવેમ્બર, 2014
અભિપ્રાય આપતા પહેલાં સાત ગળણે ગાળીએ
પ્રવેશ દ્વારે “ રજા
સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક
એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે ,
સરકારી કર્મચારીની ઓફિસે, કે કોઇ માલેતુજાર શેઠિયાને બંગલે અચૂક
ભળાય છે ત્યારે સમજી જવાનું કે સીધા મળવા
ગયે બહુ કામમાં ડૂબેલા હોઇ ડીસ્ટર્બ થવાનો સવાલ હશે તેમને. સીધા મળવા ગયે તેમને
કંઇક તકલીફ જેવું જણાતું હશે તો જ આવું લખવું પડેને ? તેમની
સાથે ખેડુતના રાત-દિનના સખત ઉદ્યમ વાળા અને કટોકટી વાળા સમયની ઉપસ્થિતિને સરખાવીએ, તો
કોઇને સમય આપવાનો તેમને અવકાશ હોય ખરો ? અરે ! કોઇ કોઇ વાર બેસીને નિરાંતે ખાવાનો પણ
ગાળો નથી હોતો, તે છતાં તેમના બાગ-બગીચાના દરવાજે કે ખેતર-વાડીના
શેઢે “ રજા સિવાય અંદર આવવું નહીં” એવું
લખાણ કોઇને વાંચવા મળ્યું હોય તો કહો !
ખેતી સિવાયના બીજા વ્યવસાયો બધા હોય છે
વપરાશી ચીજ-વસ્તુઓની હેરાફેરી કરી, થોડી ગુપ્તતા
રાખી, પૈસા રળી લેવાના. જ્યાં માત્ર પૈસા જ રળવાની યુક્તિ-પ્રયુક્તિઓ કરાતી હોય ત્યાં બીજા બધાથી
ઘણું યે છાનુંમાનું રાખવું પડે છે. એટલે જ કોઇ અંદર આવી, ત્યાં
ઉપયોગમાં લેવાતી, બીજા બધાથી છુપાવી રાખવા જેવી ખાનગી-સરકારી કામગિરી
કે પ્રોડક્શનની નવિનતમ ટેકનીક કે કોઇ તરકીબ, બીજા જોઇ-જાણી
જાય અને વહીવટમાં કે વ્યવસાયમાં હરિફ બનવાની ઉપાધિ ઊભી કરે- તેમાંથી બચવા આવાં
બોર્ડ લટકાવવાં પડતાં હોય તેવું જણાય છે.
ખેતીની વાત જુદી છે = જ્યારે “ખેતી” એ
માત્ર પૈસા રળવાનો નહીં, તમામ લોકો સાથે રહીને જીવન નિર્વાહ
કરવાનો વ્યવસાય છે. ખેતી એ તો હંમેશા કૃપા વરસાવતી, કુદરત માતાના
ખોળે ઝૂલતી, બીજા કોઇનાએ ભય કે સાડીબાર વિના પરસેવાની કમાણી
દ્વારા મરદાનગીભર્યો પ્રમાણિક રોટલો રળવા સાથે અન્યની ભરણ-પોષણની ચિંતા સેવનારી
જીવન પ્રણાલી છે ભૈલા ! એટલે છેતરામણથી કોઇનું પડાવી લેવાનું કે છાનું-છપનું રાખવા
જેવી કોઇ વાત આમાં આવતી જ નથી. તેથી ખેતીમાં વધુ અન્ન-દાણાં, ફળ કે
કઠોળ, દૂધ કે શાકભાજી વગેરે મેળવવાની કોઇ સારી રીત-પધ્ધતિ
કે યુક્તિ કોઇના હાથમાં આવી હોય તો, તે બીજા ખેડુતને જણાવવામાં મનને ચોરી તો ન જ રખાય
ને ! “ સુખ તો વહેંચવાથી જ વધે છે ” એજ
સંસ્કારસુત્ર ખેડુતની નસેનસમાં રૂધિર બની વહેવું જોઇએ.
ખેડુત, ખેડુતની
વાત પહેલાં સ્વિકારે છે. = 20 વરસ પહેલાં જ્યારે પંચવટી બાગમાં
આમળાંની ખેતી કરવાનું મન થયેલું ત્યારે આમળા વિષે જોવા-સમજવા આણંદની કૃષિ યુની.મા
જઇ , એના બાગાયત વિભાગના વડા ડૉ. કે.પી.કીકાણી સાહેબને મળ્યો.
કેંપસ પરના આમળાનાં ઝાડ, એને આવેલો ફાલ, એને
અપાયેલી માવજત – બધું જોયું-જાણ્યું. અમારે આમળાંનું વાવેતર જરૂર
કરવું એવો કીકાણી સાહેબનો આગ્રહ જોઇ અમારુંયે મન વધ્યું. છતાં મનમાં એક ખચકાટ
રહ્યા કરે કે “ ભલા !
આ તો કૃષિની યુનીવર્સિટી છે, અહીં તો આ “
પ્રયોગની ખેતી” ગણાય. એની પાછળ ખર્ચ ગમે તેટલો થાય-તો તે સંશોધનના
હેડે નખાઇ જાય ! અમારે આવો ખર્ચ ફોગટ જાય તો ક્યા હેડે નાખવો ? આ
માટે કોઇ ખેડુતની વાડી જોવી જોઇએ અને આર્થિક કસોટીમાં પાર ઉતરેલા કોઇ ખેડુતનો
અભિપ્રાય જાણવો પડે !” તે પછી અમે ઉતરસંડા અને નરસંડાના આમળાંના વાવેતર વાળા
બગીચા જોયા, તેના ખેડુતોને મળ્યા અને તેમની પાસેથી આમળાંનું
આર્થિક પાસું જાણ્યાં પછી જ આમળાંને પંચવટીબાગમાં પ્રવેશ કરાવ્યો. નહીં તો કીકાણી
સાહેબ તો ડૉક્ટરેટ ડીગ્રી ધરાવતા અને ખેડુતોમાં ફળપાકોની ખેતી કેમ વધુ વિસ્તરે એના
માટે તન-મન-ધનથી કાર્યશીલ એવા બાગાયત નિષ્ણાત હતા. તેમ છતાં માત્ર તેમના અભિપ્રાય
ઉપર આગળ ન વધતા, આમળાંની પ્રત્યક્ષ ખેતી કરી રહેલા ખેડુતની વાતને
આધારે આગળ વધ્યા. ખેડુતના તટસ્થપણે અપાએલા અભિપ્રાયનું વજન એટલું નક્કર હોય છે
મિત્રો !
આપણી નૈતિક ફરજ ન ભૂલીએ= આપણે
જાણેલી ખેતીની કોઇ નવી રીત,પધ્ધતિ કે જેમાં અદ્યતન બિયારણ-દવા કે
ખાતર-પોતર, એની પાછળ લાગેલી મજૂરી અને અન્ય ખર્ચ પછી એમાંથી
મળેલ ઉત્પાદનના આંકડા બાબતે કોઇને વિગત જણાવવાની થાય ત્યારે બહુ જ તટસ્થ રહીને, આપણને
જે અનુભવાયું હોય-જે કમાયા હોઇએ, અરે ! નુકશાન થયું હોય તો તે પણ
જણાવવું એ આપણી નૈતિક ફરજ બને છે. કોઇને ઘીંહલાને માર્ગે તો ન જ ચડાવી દેવાયને !
હમણાં થોડા દિ’ પહેલાં ખેતીના એક ખૂબ રસિયા યુવાન ભેગા થઇ ગયા, અને
સજીવખેતીમાં ઘઉં કેટલા ઉતરે, તેની વાત નીકળતાં મારો અનુભવ કહ્યો કે “ બધું
સમુસુતરું હોય તો નાને વીઘે 35 થી 42 મણ જેવા ઉતરે છે.” તેમણે
મારી વાત કાપી નાખી- “શું હીરજીભાઇ ! એવી તે કાંઇ સજીવખેતી
કરાતી હશે ? આવો મારી સાથે જોવા ! ફલાણાભાઇ સજીવખેતી જ કરે છે, નાખી
દેતા દેતાંય તમારાથી ત્રણગણા વધુ વીઘે ઉતારે છે બોલો !” શું
કહેવું મારે ? અમારી જમીનની ફળદ્રુપતા,
પાણીની સોઇ અને કદાચ માવજત ઓછી રહેતી હોય તો
35 થી 42 મણની જગાએ એમને થોડા વધુ ઉતરતા હશે, એની એ ના નથી
પણ ત્રણગણા એટલે નાના વીઘે સવાસો મણનો ઉતારો ! અતિશયોક્તિનીયે કોઇ હદ હોયને ?
દાર્શનિક પુરાવાની જગાએ આવા મૌખિક અભિપ્રાયો મોટાભાગે વાંજિયા રહી જાય એ ખેડુતોના
હિતમાં છે. મેં જોયું છે કે સફળ ખેડુતો ઘણીવાર પોતાની ખેતીના
ઉત્પાદનના આંકડા ઊંચા આપવામાં પોતાની મહત્તા મનાવતા હોય છે
અભિપ્રાયમાં “તટસ્થતા”ની
દેખાતી ઉણપ
[1] પોતાની
ચાવી બીજાને ન બતાવનારાયે છે ! = વીસેક
વરસ પહેલાંનો પ્રસંગ છે.-અમારા મોટાકાકાને વાડીએ લઇ જઇ મેં પૂછ્યું હતું “ કાકા
! કપાસને હવે પાણી પિવરાવવાનો વખત થઇ ગયો
ગણાય ને ?” તો કહે “ ના રે ના !
પાંચ-સાત દિવસ ખમી જાવ ! હજુ વહેલું પડશે,” મોટાકાકા તો
ખેતીના પૂરા અનુભવી. મેં એમની વાત માની. પાંચ દિવસ પિયત આપવામાં મોડું કર્યું - ને
કપાસ માળો લંઘાઇને સાવ વણાઇ ગયો ! હું તો ઉપડ્યો એ કાકાની વાડીએ. કાકા વાડીએ
નહોતા.કામ કરનાર મજૂર એના કપાસમાં પાણી વાળતો હતો. કપાસનો ઘેરો તો સરસ કોળ્યમાં
કલા કલા કરતો ભાળ્યો ! મજૂરને પુછ્યું “ પાણી કે દિ’ શરુ કર્યું ?” તો
કહે “ આજ દસમો
દિવસ છે, દસ દિ’ પહેલાં
પાયેલાને આજ બીજું પાણ શરુ કર્યું છે.” હું તો
વિમાસણમાં મુકાઇ ગયો કે “ આ કાકાએ પાણી એના કપાસમાં પાંચ દિ’
પહેલાં શરુ કરેલું અને મને કેમ પાંચ દિવસ મોડું શરૂ કરવાની સલાહ દીધી હશે ? આનું
કારણ શું ?” આવા લોકોને સામૂહિક પ્રગતિ નથી ખપતી.
બીજાને પછાડવામાં જ પોતાનો વિકાસ સમજતા હોય છે. પછી તો અમે એ કાકાનો સ્વભાવ જાણી
ગયા એટલે એને પૂછીએ ખરા, પણ એ કહે એવું કરવાનું નહીં ! ખેતીમાં
તો દરેકને પોતાની મહેનતનું રળવાનું છે, કોઇની આડેથી
કંઇ પડાવી જવાની વાત જ નથી. ખેતી તો જેવી જેની મતિ-શક્તિ એવી કમાણી એ કરે ! કોઇને નુકશાનીમાં ઉતારવાનું
પાપ આપણાથી તો ન જ કરાયને !
એક ખેડુતની વાડીએ હું જઇ ચડેલો. તેઓ
બિયારણના રજકામાં લશ્કરી ઇયળના ઉપદ્રવ સામે દવા છાંટે. તે વરસે લશ્કરીનો બહુ ઉપાડો
હતો. ભલભલાના રજકાના ઘેરા સાફ કરી નાખેલા ! આ ભાઇને કોઇ કારણસર - કાગનું બેસવું ને
ડાળનું ભાંગવું –દવાનુ પરિણામ સારું મળેલું. મેં પુછ્યું “ કઇ
દવા છાંટો છો ?” તો ડબલું લાવીને બતાવ્યું. દવાના ડબલા
પર “ડીમોક્રોન”
લખેલું. મને પડ્યો વહેમ ! કારણ કે છંટકાવ ચાલુ હતો અને એની વાસ ડીમેક્રોનની નહોતી
! એની ગંધ ઉપરથી મને ડી.ડી.વી.પી દવાની એ યાદ તાજી થઇ ગઇ [કારણ કે વર્ષો પહેલાં
દિવેલાના અમારા બીજ-પ્લોટમાં લશ્કરી ખૂબ
લાગેલી અને અમે ડી.ડી.વી.પી.નો કેન મોઢે
ઉપયોગ કરેલો ] મેં કહ્યું “ સાચુ બોલ ભાઇ ! આ દવાના ડબલા પર નામ છે
એ દવા આ નથી ” તો દાંત કાઢતાં કાઢતાં મને કહે “ તો કઇ
છે, તમે જ કહોને ! મેં કહ્યું “ ગંધ પરથી
દવાના નામની ખબર ન પડે પણ ડી.ડી.વી.પી. ટેકનીકલ અંદર હોય એવી આ વાસ છે.” તે સાંભળી મને
કહે- “હું તો તમારી પરીક્ષા કરતો હતો કે તમને કેવીક ખબર
પડે છે એની.” અંતે તો એણે કબુલ્યું પણ ખરું કે “ હા, તમારી
વાત સાચી છે”. પણ આવું કરવાનું કારણ પૂછ્યું તો કહે “
નોખનોખી કેટલીય દવા છાંટી જોઇ, પણ આના જેવું સારું પરિણામ કોઇનું નથી
મળ્યું. બીજાને આની
ખબર ન પડી જાય, માટે ચૂસિયાંને મારવા લાવેલ દવાના ખાલી ડબલામાં આ
દવા ભરી દીધી છે.” શું કહેવું આને ? મગના જથ્થામાં
કોઇ કોઇ કઅડુ મગ- જે ગમે તેવા ઉકળતા પાણીમાં પણ ચડીને પોચા નથી થતા- એમ ખેડુતોમાં
પણ કોઇ કોઇ કઅડુ ખેડુત હોય્ છે ખરા ! આપણે એવા ન થઇએ.
[2] બીજાની શેહમાં આવી જઇ ખોટી સલાહ દેવી = ખાતર, બિયારણ, જંતુનાશક
દવા કે હોય ફળઝાડના કલમ-રોપડા વેચનાર વ્યાપારી ! પોતાનો માલ ખેડુતોમાં ઘુસાડી
દેવાની માસ્ટરી ધરાવતા હોય છે. કઇ વસ્તુથી કેટલો લાભ થશે, એ
જોવા-ચકાસવાનું કામ એનું નથી.એનું ધ્યેય
તો કઇ ટ્રીક અજમાવી હોય, તો વધુ જથ્થામાં વસ્તુ વેચાય એવું હોય
! એ માટે એ ખેડુતને મળતાં પહેલાં જાણી લે છે કે જરા ખ્યાતિવાળો આગેવાન ખેડુત કોણ
છે ? પહેલાં એને મળે અને નાખણી એવી કરે કે ન પૂછો વાત ! એની
ખેતીના થોડા વખાણ કરી આગળ કરે. અરે ! જો મેળ પડતો હોય તો મામા,માસી,ફોઇ કે
સસરા પક્ષના સંબંધી,
મિત્ર,પાડોશી કે હિતેચ્છુ બની જઇ,નજીકતાનો
દાવો કરી, પોતાના વાહનમાં આગળ બેસાડી સાથે ફેરવે, અને
વેચાણ બાબતે એને મોરિયાળ બનાવે, અને એ જે વસ્તુ વેચવા નીકળ્યા હોય, એ
વસ્તુના આપણા જ મોઢે સૌ સાંભળે તેમ વખાણ કરાવી – આપણા જ ઓળખીતા,સગા-સંબંધીકે
મિત્રમંડળમાં એની વસ્તુ ખપાવવામાં આપણને નિમિત્ત બનાવે ! ખેડુતો તો એ અજાણ્યા વેપારી
કરતાં આપણા અભિપ્રાયને વધુ ધડા રૂપ ગણી, એ વસ્તુ
ખરીદવાનું જોખમ વહોરે, અને ક્યારેક ફસાઇ મરે, તો
ગુનેગાર કોણ થયું કહો ! એ વેપારી કે એનું સાધન બની ગયેલા આપણે ?
[3] કમીશનની મધલાળે વળગાડી ખોટા અભિપ્રાય
અપાવે =આર.ટી.ઓ માં વાહનની નોંધણી કરાવવાની હોય,કે
બેંકમાંથી લોન લેવી હોય, કોઇ વસ્તુનો સોદો કરવો હોય કે મકાન
બાંધકામ માટે રેતી-પથ્થર કે ઈંટનો ફેરો
જોઇતો હોય-સીધેસીધું કામ પતતું જ નથી. વચ્ચે વચેટિયા તો જોઇએ જ ! ખેતીમાં
પણ આ જ શિરસ્તો દાખલ થવા માંડ્યો છે. મજૂર તેડાવવાના હોય,
ભાગિયા રાખવાના હોય કે ગાય વેચવાની હોય , અરે ! મગફળી-કપાસ
જેવો માલ વેચવાનો કેમ ન હોય ! વચ્ચે દલાલ ન આવતો હોય, એવું હવે બનતું જ નથી !
હજુ હમણાનો જ પ્રસંગ: “ હીરજીભાઇ !
કાલે તો તમને સમય નહોતો. આજ કેમ થશે ? અમારે માત્ર
અર્ધો કલાક ખેડુતોના લાભાર્થે તમારો સમય લેવો છે.” હું હજુ હા-ના કરું તે પહેલાં તો શૂટેડ-બૂટેડ બે
જુવાનિયા –ખભે થેલા ટીંગાડેલા,ને બપોરના દોઢ
વાગે દરવાજામાં દાખલ થઇ, હાથે ખુરશી ઢાળી મારી નજીક બેસી ગયા
અને શરુ કરી દીધું “ અમે સાંભળ્યું છે કે આ વિસ્તારમાં
ખેતીમાં અવનવા પ્રયોગો કરવામાં તમારું નામ છે. આસપાસના તો શું, દૂર
દૂર સૌરાષ્ટ્રના જ નહીં –ગુજરાતભરના ખેડુતો તમારી સાથેના ફોન, રેડિયો, કૃષિ
મેગેઝિન અને છાપાનાં વાર્તાલાપ-લખાણ દ્વારા તમારી સલાહ અને માર્ગદર્શન મેળવી રહ્યા
છે. એટલે લાંબી ગણતરીએ આપની પાસે આવ્યા છીએ, કે અમારી આ
કંપનીએ તાજેતરમાં ખેડુતોને ખૂબ લાભ થાય તેવી આ પ્રોડક્ટ્સ લોંચ કરી છે. તમે જો
બીડું ઝડપો તો તમને અને અમને બન્નેને લાભ જ લાભ સમજોને ! એવી ગોઠવણી અમે કરીને
આવ્યા છીએ કે તમારે કોઇ ખર્ચ કરવાનો નથી, કે નથી કોઇ
વસ્તુ ખરીદવાની.અમે એમ કહીશું કે “ હીરજીભાઇ આ
પ્રોડક્ટ્સ વાપરે છે” અને તમને એ લોકો ખરાઇ કરવા પૂછે, કે
ફોન કરે ત્યારે એટલું કહેવાનું કે “ હા, હું
વાપરું છું, અને એની અસર બહુ સારી થાય છે.” આ
વિસ્તારમાં વેચાણ થાય તે બધામાં તમારા કમિશનના ટકા તમને ઘેરબેઠાં મળી જશે,” જુવાનિયો
એકીશ્વાસે બોલી ગયો. કહો ! મારા તો ભાગ્ય જ ખૂલી ગયાને મિત્રો ! પ્રોડક્ટસ સારી છે
કે નબળી-કશી ખબર ન હોય અને મોટી મા બની વેપારીની ભેરે ચડવા માંડું અને મારા અભિપ્રાયે
ખેડૂતોને ભરમાવામાં મદદગારી કરું ? આથી મોટું
બીજું ક્યુ પાપ હોઇ શકે ?
[4] પ્રસંશા કે પ્રસિધ્ધિના લોભમાં નાખીને
= હમણાં હમણાંના વેપારીઓના પોતાની ચીજ-વસ્તુના પ્રચારના નવા નુસ્ખા પ્રમાણે
ક્યારેક છાપામાં, કૃષિ-મેગેઝિનમાં કે રોડ-રસ્તે બોર્ડ-પાટિયાં લગાવી, ખેડુતના
નામ-ફોટા સાથેનો દૂરુપયોગ શરૂ થયો છે. ઘડીભર તો એમ થાય કે “ કંઇ
વાંધો નહીં ! આપણા તો સમાજમાં વખાણ થાય છે ને ?” પણ ના ! રખે
એવું થવા દેતા ! ચેતજો ! આ જાહેરાતમાં
વાસ્તવિકતાથી વધુકા લાભનાં આંકડા દર્શાવી ,ખેડુતોને ખોટી
વિગતો આપી ફસાવી પાડવાના ફાંહલામાં પકડાવી દેવાનું નીમિત્ત આપણે તો નથી બની
રહ્યાને, જોજો !
પંચવટી બાગ
- હીરજી ભીંગરાડિયા
માલપરા જિ. ભાવનગર
[મો. 93275 72297]
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)